Special Intensive Revision (SIR): ભારતના ચૂંટણી પંચે ગુજરાત સહિત કુલ 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)નું સમયપત્રક જાહેર કર્યું છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે આ કાર્યક્રમની વિગતો જાહેર કરી હતી, જેમાં ચૂંટણી કમિશનર ડૉ. સુખબિર સિંહ સંધુ અને વિવેક જોશી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ SIR પ્રક્રિયાના વિવિધ તબક્કાઓ અનુસાર, બૂથ લેવલ ઓફિસર્સ (BLO) 4 નવેમ્બર, 2025થી 4 ડિસેમ્બર, 2025 દરમિયાન ઘરે ઘરે જઈને મતદારો પાસે એન્યુમરેશન ફોર્મ ભરાવશે.
સમાચારથી અપડેટ રહેવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો.
SIRની પ્રકિયાનો કાર્યક્રમ
SIR પ્રક્રિયાની સમયરેખા મુજબ, 9 ડિસેમ્બર, 2025ના રોજ હંગામી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. આ હંગામી યાદી પ્રસિદ્ધ થયા બાદ, નાગરિકો 9 ડિસેમ્બર, 2025થી 8 જાન્યુઆરી, 2026 સુધી સુધારા માટેના પોતાના દાવા રજૂ કરી શકશે. ત્યારબાદ, જિલ્લા ચૂંટણી અધિકારી અને મુખ્ય ચૂંટણી અધિકારીઓ 31 જાન્યુઆરી, 2026 સુધી આ દાવાઓની સુનાવણી અને પ્રમાણિકરણની પ્રક્રિયા પૂર્ણ કરશે. આ સંપૂર્ણ પ્રક્રિયાના અંતે, આખરી મતદાર યાદી 7 ફેબ્રુઆરી, 2026ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે.
ચૂંટણી પંચે આ ઝુંબેશમાં ઝીરો અપીલના ધ્યેય સાથે SIR યોજવા પર ભાર મૂક્યો છે, જેમણે ફેઝ-01ની જેમ ફેઝ-02માં પણ સુચારુ આયોજન કરવાની વાત કરી હતી. આ સુધારણા પ્રક્રિયા અગાઉ થયેલ SIRને અનુસંધાને થઈ રહી છે, જેમાં 1 જાન્યુઆરી, 2002ની તારીખને લાયકાત યોગ્ય ગણવામાં આવશે. નાગરિકો વર્ષ 2002-2004માં યોજાયેલ આખરી SIRની મતદાર યાદીમાં તેમના નામ સહિતની વિગતો ચકાસી શકશે.
મતદાર યાદીની સુધારણા માટે નાગરિકતાના પુરાવા તરીકે કુલ 12 વિવિધ દસ્તાવેજો માન્ય ગણવામાં આવશે, જેમાં ભારતીય પાસપોર્ટ અને જન્મનું પ્રમાણપત્ર સામેલ છે. આ SIR પ્રક્રિયામાં મહિલાઓ, અશક્ત નાગરિકો, દિવ્યાંગો અને વડીલોને સુવિધા મળી રહે તે હેતુથી એનસીસી (NCC) જેવા સ્વયંસેવક જૂથોની મદદ લેવામાં આવશે.
ચૂંટણી પંચે પ્રતિબુથ 1200 મતદારોની પહેલની અમલવારીના ભાગરૂપે બૂથ રેશનલાઇઝિંગ પણ કરવાની યોજના બનાવી છે. આ વ્યવસ્થા હેઠળ એક પરિવારના તમામ સભ્યો એક જ બૂથ પર મતદાન કરી શકે તેવી ગોઠવણ કરવામાં આવશે.


