Ahmedabad News: અમદાવાદના શ્યામલ ચાર રસ્તા પાસેના વૃંદાવન બંગ્લોઝમાં રૂપિયા 45.75 લાખની ઘરફોડ ચોરીના કેસમાં પોલીસે 350થી વધુ સીસીટીવી ફૂટેજ, ટેક્નિકલ સર્વલન્સના આધારે દોઢ મહિના સુધી મહેનત કરીને આરોપી અર્જુન રાજપુતને મહેસાણાથી ઝડપી લીધો હતો. તેના પર ઘરફોડ ચોરીના 50થી વધુ ગુના નોંધાયેલા હતા. ગુરૂવારે રાત્રે આરોપી અર્જુન રાજપૂતને સેટેલાઈટ પોલીસ સ્ટેશનના એએસઆઈ અને એલઆરડી જવાન મેડીકલ ચેકઅપ માટે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા ત્યારે મોકો જોઈને ફરાર થઈ ગયો હતો. એલઆરડી જવાન મોતીભાઈ મોમાભાઈને સવારે બંદોબસ્તમાં જવાનું હોવાથી એએસઆઈ કલ્પેશ ભીમાજીને કામગીરી કરવાનું કહીને ત્યાંથી જતો રહ્યો હતો. બાદમાં એએસઆઈ આરોપીને ટ્રોમા વોર્ડની બહારના બાંકડા પર બેસાડીને પોલીસ સ્ટાફ તબીબને રિપોર્ટ બતાવવા માટે ગયો હતો.
ત્યારે અર્જુન રાજપૂત ફરાર થઈ ગયો હતો. આમ, સેટેલાઈટ પોલીસની બેદરકારીને કારણે માંડ માંડ હાથમાં આવેલો આરોપી ફરાર થઈ ગયો હતો. આ અંગે સોલા પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી કરી છે. જ્યારે ઈન્ચાર્જ DCPએ બેદરકારી બદલ બંને પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અર્જુન વિરૂદ્ધમાં વડોદરામાં 44 ચોરીના કેસ અને ગોધરામાં 3 ચોરીના કેસ નોંધાયેલા છે. જ્યારે કુલ 50થી વધુ ગુના નોધાયેલ છે.
બાદમાં LCBએ સેટેલાઈટ પોલીસને આરોપી સોંપ્યો હતો. જે બાદ એએસઆઈ કલ્પેશકુમાર ભીમાજી અને લોકરક્ષક મોતીભાઈ મોમાભાઈની બેદરકારીનો ફાયદો આરોપી ઉઠાવીને ફરાર થઈ ગયો હતો. એએસઆઈ કલ્પેશભાઈએ પણ એટલી મોટી બેદરકારી દાખવી હતી કે આટલા મોટા ગંભીર ગુનાના આરોપીને ઓર્થોપેડિક વોર્ડમાં સાથે લઇ જવાને બદલે તેને બહાર બાંકડા પર બેસાડીને રિપોર્ટ પર સહી સિક્કા કરાવવા ગયા હતા. આરોપી અર્જુન ફરાર થઈ ગયાની જાણ સેટેલાઈટ પોલીસને કરવામાં આવી હતી. આ અંગે એએસઆઇ કલ્પેશભાઇએ અર્જુન સામે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.