Food Festival In Ahmedabad: અમદાવાદમાં આવેલી વૈભવી હોટેલ ITC નર્મદા જેની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોવામાં આવે છે, તેવા તેના ફૂડ ફેસ્ટિવલ રૉયલ કિચન – મેવાડ ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરીને તેના મહેમાનોને રાજસ્થાનના શાહી વ્યંજનોનો રસાસ્વાદ કરાવવા માટે તૈયાર થઈ ગઈ છે. ખૂબ જ પ્રમાણિકતાપૂર્વક તૈયાર કરવામાં આવેલા મેવાડી વ્યંજનોના ખૂબ જ સમૃદ્ધ અને સૂક્ષ્મ સ્વાદોના સન્માનમાં આ ફેસ્ટિવલ ITC નર્મદાની સિગ્નેચર ઑલ-ડે ડાઇનર અડાલજ પેવેલિયન ખાતે તારીખ 18થી 27 એપ્રિલ દરમિયાન ડિનરના સમયે સાંજે 7 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી યોજાશે.

જયપુરમાં આવેલી ITC રાજપૂતાના સીનિયર માસ્ટર શૅફ અન્વિર સિંહ અને ITC નર્મદાના એક્ઝિક્યુટિવ શૅફ ગૌરવ લવાનિયા મેવાડના પાકકલાના વારસાના સન્માનમાં શાહી વ્યંજનો તૈયાર કરશે. રાજસ્થાનના શાહી વારસાથી પ્રેરિત થીમ પર આધારિત સુશોભન કરીને પેવેલિયનના માહોલને ખૂબ જ આકર્ષક બનાવવામાં આવશે. જે અહીંની મુલાકાત લેનારા ડાઇનરોને ભોજનનો સ્વાદ માણતી વખતે એક આહ્લાદક અનુભવ પૂરો પાડશે.
શૅફ અન્વિર સિંહએ જણાવ્યું હતું કે, અમદાવાદના સ્વાદના પારખુ લોકો સમક્ષ મેવાડનો અધિકૃત સ્વાદ રજૂ કરીને અમે ખૂબ જ ખુશ છીએ. અમારો આ વિશેષ ફૂડ ફેસ્ટિવલ અમારા ચાહકોને મેવાડની ખાદ્યસામગ્રીની સમૃદ્ધિનો તો અહેસાસ કરાવશે જ પરંતુ તેની સાથે-સાથે તેમને રાજસ્થાનના આતિથ્યસત્કારની ગૌરવશાળી પરંપરાઓ અને લાગણીઓનો અનુભવ પણ મળશે. આ ખાસ રીતે તૈયાર કરવામાં આવેલ મેનૂના પ્રત્યેક વ્યંજનને ખૂબ જ વિચારપૂર્વક પસંદ કરવામાં આવ્યાં છે. જે મેવાડની રસોઈના સારતત્ત્વને રજૂ કરે છે. જેમાં ગામઠી વાનગીઓથી માંડીને વૈવિધ્યપૂર્ણ શાકાહારી વેરાઇટીઓનો સમાવેશ થાય છે.

આ મેનૂમાં પિતોર કઢી અને દાલ બિકાનેરી સહિતની વિવિધ શાહી વાનગીઓને સામેલ કરવામાં આવી છે. આ સમગ્ર વિસ્તારમાં ખવાતી શાકાહારી વાનગીઓમાંથી સંગેરી પનીર, જોધપુરી કાલા ચના, પનીર મેંથી દાના અને ગટ્ટા પુલાવ જેવી વાનગીઓને સામેલ કરવામાં આવી છે.
મેવાડી વાનગીઓમાં દક્ષિણવર્તી રાજસ્થાનની શુષ્ક ભૂગોળ અને શાહી પરંપરાની ઊંડી છાપ જોવા મળે છે. આ પ્રદેશની રસોઈની ટેકનિકો પાણીની મર્યાદિત ઉપલબ્ધતાની સાથે અનુકૂલન સાધીને તેના મૂળ સ્વાદને જાળવી રાખવા માટે ઘણી વિકસી છે. જેના પરિણામે ઇંધણા પર ધીમી આંચે રાંધવું, ડ્રાય રોસ્ટિંગ અને રાંધવા માટે પાણીને બદલે શુદ્ધ બટર કે ઘીનો ઉપયોગ કરવા જેવી પદ્ધતિઓ વિકસી છે. મેવાડી રસોડાઓમાં ઉપયોગમાં લેવાતી કાચી સામગ્રીઓમાં બાજરી અને જુવાર, ચણા અને મગ જેવી શિંગો તથા કેર, સાંગરી અને ગુંદા જેવા તડકામાં સૂકવેલા શાકભાજીઓનો સમાવેશ થાય છે. તેની વાનગીઓમાં ખડા મસાલા, સૂકવેલા લાલ મરચાં, દહીં અને બેસનનો ખૂબ વધારે પ્રમાણમાં ઉપયોગ થાય છે, જેના પરિણામે પ્રત્યેક વાનગીનો એક અલાયદો સ્વાદ અને તાસીર આવે છે.
શૅફ ગૌરવ લવાનિયાએ જણાવ્યું હતું કે, ITC નર્મદાએ પ્રાદેશિક વાનગીઓ રજૂ કરીને ભારતની પાકકળાની વૈવિધ્યતાને બિરદાવવાનું ચાલું રાખ્યું છે. રૉયલ કિચન – મેવાડ ફૂડ ફેસ્ટિવલ દ્વારા અમે મહેમાનોને અહીં અમદાવાદમાં જ રાજસ્થાનના શાહી વ્યંજનો માણવા માટે આમંત્રિત કરી રહ્યાં છીએ. અમારા પ્રશંસકો તીખા મસાલા, પેઢી દર પેઢી ચાલી આવતી વાનગીઓ અને ITC નર્મદાના વિશિષ્ટ આતિથ્યસત્કારની સાથે ડાઇનિંગનો અદભૂત અનુભવ મેળવી શકશે.