Gujarat24  /  Gujarat  /  Vadodara  /  

વડોદરામાં માતાએ મોબાઈલ મુદ્દે ઠપકો આપતા ધોરણ 9માં ભણતાં સગીરે આપઘાત કર્યો, બેડરૂમ બંધ કરી ગળાફાંસો ખાધો

Vadodara News: વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતા 14 વર્ષીય સગીરને મોબાઈલનો વધુ પડતો ઉપયોગ ન કરવા બાબતને લઈને ઠપકો આપ્યો હતો. આ પછી સગીરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું માંજલપુર પોલીસ મથકે નોંધાયું હતું.

માંજલપુર અલવાનાકા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં 14 વર્ષીય મનીષ રહેતો હતો. તે ધોરણ 9માં મકરપુરાની એક ખાનગી શાળામાં અભ્યાસ કરતો હતો. મનીષે ગત તારીખ 15મીના સમી સાંજના સમયગાળામાં બેડરૂમમાં જઈને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘણીવાર થઈ ગયા બાદ પણ મનીષ રૂમની બહાર ન આવતા તેની માતાએ રૂમનો દરવાજો વારંવાર ખખડાવ્યો હતો. છતાં પણ મનીષે દરવાજો ન ખોલતા પાડોશીને બોલાવીને દરવાજો તોડી નાખ્યો હતો. દરવાજો તોડતાની સાથે રૂમમાં મનીષને ફાંસો ખાધેલી હાલતમાં જોતા માતાએ કલ્પાંત મચાવી મૂક્યું હતું.

આ ઘટનાની જાણ માંજલપુર પોલીસ મથકે કરતા પોલીસે મૃતદેહને પોસ્ટમૉર્ટમ અર્થે ખસેડીને કયા કારણોસર આ પગલુ ભર્યું તેની તપાસ હાથ ધરી હતી. જેમાં મનીષ મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કરતો હતો. જે બાબતને લઈને પરિવારના સભ્યએ તેને મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કરતા ભણવામાં ધ્યાન આપ, તે બાબતને લઈને ઠપકો આપ્યો હતો અને તેની પાસેથી મોબાઈલ લઈ લીધો હતો. જેનું લાગી આવતા મનીષે આ પગલું ભર્યું હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *