Gujarat24  /  Gujarat  /  Junagadh  /  

Asiatic lion: સિંહોની વસતી ગણતરીની પૂરી, આ વખતે સિંહોની સંખ્યા 800થી 900 જાહેર કરવામાં આવે તેવો અંદાજ

Lion census in gujarat: ધોધમાર વરસાદના પડકાર વચ્ચે એશિયાટિક સિંહોની 16મી વસ્તી ગણતરી અંદાજ પૂર્ણ થયો છે. સિંહની સંખ્યામાં ગત ગણતરી કરતા વધારો થવાનો છે તેવો વનમંત્રીએ દાવો કર્યો છે. ગણતરી દરમ્યાન ભરવામાં આવેલા તમામ ફોર્મ એકત્ર કરી સાસણ ખાતે પહોંચાડવામાં આવી રહ્યાં છે. તમામ ડેટા એકઠો થઈ ગયા બાદ કમિટી દ્વારા તેનું પૃથક્કરણ કરવામાં આવશે અને તે પછી મુખ્યમંત્રી દ્વારા સિંહને આંક જાહેર કરાશે. આ વખતે વનતંત્ર દ્વારા સિંહોની સંખ્યા 800થી 900ની વચ્ચે બતાવવામાં આવે તેવો અંદાજ છે.

સૌરાષ્ટ્રના 11 જિલ્લાના 58 તાલુકાના 35 હજાર ચોરસ કિલોમીટર વિસ્તારમાં સિંહોની વસ્તી ગણતરી અંદાજ હાથ ધરવામાં આવ્યો હતો. પ્રાથમિક અને આખરી એમ બે તબક્કે ગણતરી યોજાઈ હતી. ગઈકાલે બપોરે બે વાગ્યે ગણતરી પૂર્ણ થઈ ગઈ છે. પ્રાથમિક અને આખરી ગણતરીમાં વરસાદના કારણે વન વિભાગને ખૂબ મોટી મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. 435 ગણતરી એકમો પર ફોર્મ ભરવાની કામગીરી કરવામાં આવી હતી.

ગણતરીકારોએ સિંહોની જે વિગત ભરી છે તે સબ ઝોનલને અને તેમના દ્વારા તમામ ફોર્મ એકત્ર કરી ઝોનલ અધિકારીને સોંપાયાં છે. તમામ ઝોનલે તેમના રિજિયનને ડેટા સોંપી દીધા છે. સબઝોનલ અધિકારીએ તેમને સોંપેલા વિસ્તારમાં એકને એક સિંહ બેવાર ગણતરીમાં નથી આવ્યાને તેની ખરાઈ કરી ઝોનલ અધિકારીને, ઝોનલે પણ ડુપ્લીકેશન અંગેની ખરાઈ કરી રિજિયનને ડેટા સોંપી દીધો છે. તમામ ડેટા સાસણ ખાતે એકઠો કરવામાં આવ્યો છે. સાસણ ખાતે સિંહ ગણતરી અંગેની મુખ્ય કમિટી દ્વારા તમામ ડેટાનું પૃથક્કરણ કરવામાં આવશે. ત્યારબાદ વિસ્તારવાર નર, માદા, પાઠડા, બચ્ચાનો ડેટા તૈયાર કરી ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીને મોકલવામાં આવશે. આગામી સમયમાં મુખ્યમંત્રી દ્વારા સિંહોની સંખ્યાનો આંકડો જાહેર કરવામાં આવશે.

વર્ષ 2020માં પૂનમ અવલોકનના આધારે સિંહની સંખ્યા 674 હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. આ વખતે સિંહોની વસ્તીમાં જેમ ઉતરોત્તર વધારો થતો આવ્યો છે તેમ વધારો થશે તેવું વનમંત્રી મુળુ બેરાએ જણાવ્યું છે. વન વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે 800થી 900ની વચ્ચે સિંહોનો આંક પહોંચાડવામાં આવે તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.