સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીએ ડૉક્ટરો અને મહિલાઓની સુરક્ષાના સશક્ત સંદેશની સાથે યુનિવર્સિટીના કેમ્પસમાં રક્ષાબંધનની ઉજવણી કરી હતી. સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી સાથે સંકળાયેલ હોમિયોપથી, આયુર્વેદ, ફિઝિયોથેરાપી અને નર્સિંગના મેડિકલ અને પેરામેડિકલ ફેકલ્ટીઓના 900 જેટલા વિદ્યાર્થીઓ કે જેઓ ભવિષ્યના ડૉક્ટરો છે, તેમની સાથે 200 ફેકલ્ટી અને સ્ટાફના સભ્યો કેમ્પસમાં અને કેમ્પસની બહાર સ્ત્રીઓની સુરક્ષા અને સલામતી માટે તથા ડૉક્ટર અને પેરામેડિક્સના વ્યવસાયની સલામતી માટે પ્રતિજ્ઞા લેવા એકઠાં થયાં.
હાલમાં જ કોલકાતા સ્થિત મહિલા ડૉક્ટરની સાથે થયેલા નૃશંસ બળાત્કાર અને તેમની કરપીણ હત્યાની કરુણ ઘટના પ્રત્યે એકતા દર્શાવવા માટે આ પહેલ હાથ ધરવામાં આવી હતી. યુનિવર્સિટીના સમસ્ત સમુદાયને શૈક્ષણિક સંસ્થાઓ અને કેમ્પસની અંદર જ નહીં પરંતુ જાહેર સ્થળોએ પણ મહિલાઓની સુરક્ષા માટે કાર્યવાહી કરવાની અને આ અંગે જાગૃતિ પેદા કરવાની ફરજ જણાઈ હતી. સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીએ તહેવારની સાચી ભાવનાને આત્મસાત કરીને સાંપ્રત ઘટનાઓને ધ્યાનમાં રાખીને સંવેદનશીલતાપૂર્વક રક્ષાબંધનની ઉજવણી કરી હતી.
રક્ષાના બંધનના પરંપરાગત પ્રતીક તરીકે એન્જિનિયરિંગ, કૃષિ, વિજ્ઞાન, ફાર્મસી, ડીઝાઇન અને બિઝનેસ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીએ મેડિકલ અને પેરામેડિકલના ક્ષેત્રોના તેમના સહપાઠીઓ અને ફેકલ્ટીને, ખાસ કરીને સ્ત્રીઓને રાખડી બાંધી હતી અને હંમેશા તેમની રક્ષા કરવાની અને તેમને સપોર્ટ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.
આ પહેલ અંગે ટિપ્પણી કરતાં સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ આદિ જૈનએ જણાવ્યું હતું કે, સુરક્ષા અને કાળજીના પ્રતીક સમાન આપણો તહેવાર રક્ષાબંધન આવી રહ્યો છે ત્યારે સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી કેમ્પસની અંદર અને બહાર સ્ત્રીઓની સલામતી અને ગરિમાનું રક્ષણ કરવાની તેની કટિબદ્ધતા પર અડગ છે. હાલમાં જ કોલકાતામાં એક યુવાન મહિલા ડૉક્ટરની સાથે જે થયું તેણે આપણને હચમચાવી મૂક્યાં છે. સ્વર્ણિમમાં અમારું માનવું છે કે, દરેક વ્યક્તિ અને ખાસ કરીને મેડિકલ અને પેરામેડિકલના ક્ષેત્રોમાં હોય તેવી વ્યક્તિ એક સલામત, સુરક્ષિત અને ગરિમાપૂર્ણ માહોલમાં કામ કરવાનો અને શિક્ષણ મેળવવાનો અધિકાર ધરાવે છે. અમે એ બાબતની ખાતરી કરવા માટે કટિબદ્ધ છીએ કે આ શબ્દો માત્ર શબ્દો ના રહીને દરરોજ આ ભાવનાને સાકાર કરવા માટેનું આહ્વાન બની રહે.
આ પહેલના ભાગરૂપે સ્વર્ણિમ સમુદાયના પ્રત્યેક સભ્યે તમામ સ્તરે મહિલા કર્મચારીઓ માટે સલામત, સુરક્ષિત અને ગૌરવપૂર્ણ માહોલની રચના કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ પ્રતિજ્ઞા કેમ્પસમાં આદર અને ગરિમાની સંસ્કૃતિનું નિર્માણ કરવા અને તેને પ્રોત્સાહન આપવા માટેની યુનિવર્સિટીની એક સક્રિય પહેલ છે.
સ્વર્ણિમ યુનિવર્સિટીમાં નર્સિંગ ઑફિસર તરીકે કાર્યરત શ્રેયા પંડ્યાએ જણાવ્યું હતું કે, ભારતમાં આપણે શ્રાવણ મહિનાથી શરૂ કરીને નવરાત્રી અને દિવાળી સુધી ઘણાં તહેવારો ઉજવીએ છીએ, જેમાં માતાજીની ખૂબ જ ભક્તિભાવથી પૂજા-અર્ચના કરવામાં આવે છે. પરંતુ જ્યારે આપણાં દેશમાં આવી ગંભીર ઘટના ઘટે છે, ત્યારે આપણી શ્રદ્ધાનો આડંબર ઉઘાડો પડી જાય છે. આપણાં સમાજમાં સ્ત્રીઓ પ્રત્યેનો સાચો આદર પેદા કરવાની જરૂર છે, જે ફક્ત પૂજા-પાઠ સુધી મર્યાદિત ના હોય. કોઈ મૂર્તિની આગળ ઝૂકતા પહેલાં સ્ત્રીઓ અને પુરુષો બંનેએ દરેક સ્ત્રીની ગરિમા અને અધિકારોનું સન્માન કરવાનું શીખવું જોઇએ. અમે કોલકાતાના મહિલા ડૉક્ટર માટે ન્યાયની માંગણી કરવા માટે એકજૂથ છીએ.