Sandipani Lok: મધ્યપ્રદેશના (Madhya Pradesh) ઉજ્જૈનમાં (Ujjain) ‘મહાકાલ લોક’ની અભૂતપૂર્વ સફળતા બાદ હવે પ્રશાસન દ્વારા વધુ એક ભવ્ય આધ્યાત્મિક કોરિડોર બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. ભગવાન શ્રીકૃષ્ણની (Lord Krishna) શિક્ષાભૂમિ તરીકે જાણીતા મહર્ષિ સાંદીપનિ આશ્રમને (Sandipani Ashram) હવે ‘સાંદીપનિ લોક’ તરીકે વિકસાવવાની વ્યાપક તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વર્ષ ૨0૨8માં યોજાનારા સિંહસ્થ કુંભમેળા (Simhastha 2028) પહેલાં આ મહત્વકાંક્ષી પરિયોજનાને પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આશરે 139 કરોડ રૂપિયાના ખર્ચે ૫ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલો આ ભવ્ય કોરિડોર ધાર્મિક અને પ્રવાસન બંને દ્રષ્ટિએ ઉજ્જૈનને (Ujjain) વૈશ્વિક નકશા પર એક નવી ઓળખ આપશે. ઉજ્જૈનના કલેક્ટર રોશન કુમાર સિંહે (Roshan Kumar Singh) આ પ્રોજેક્ટની વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ કોરિડોર પ્રાચીન વિરાસત અને આધુનિક ટેકનોલોજીનો અદભુત સંગમ હશે.
64 કળાઓ અને 16 વિદ્યાઓનો ઈતિહાસ જીવંત થશે
મંગલનાથ રોડ (Mangalnath Road) પર સ્થિત સાંદીપનિ આશ્રમનો (Sandipani Ashram) ધાર્મિક ઈતિહાસ અત્યંત રોચક છે. પૌરાણિક માન્યતા અનુસાર, ભગવાન શ્રીકૃષ્ણ (Lord Krishna) અને તેમના મોટા ભાઈ બલરામ (Balram) મથુરાથી (Mathura) અહીં આવ્યા હતા. તેમણે મહર્ષિ સાંદીપનિના (Maharishi Sandipani) સાનિધ્યમાં માત્ર 64 દિવસમાં 64 કળાઓ, 16 વિદ્યાઓ તેમજ વેદ-પુરાણોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. આ ભવ્ય ઈતિહાસને ભક્તો સમક્ષ જીવંત કરવા માટે સમગ્ર સંકુલને 9 અલગ-અલગ થીમ આધારિત ઝોનમાં વહેંચવામાં આવશે. દરેક ઝોનમાં શ્રદ્ધાળુઓને ધર્મ, સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો એક નવો જ ડિજિટલ અને દ્રશ્ય શ્રાવ્ય અનુભવ મળશે.
ડિજિટલ ટેકનોલોજી અને ગોમતી કુંડનું મહાત્મ્ય
આ પ્રોજેક્ટની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં ઓગમેન્ટેડ રિયાલિટી (AR) અને વર્ચ્યુઅલ રિયાલિટી (VR) જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. મલ્ટી-લેંગ્વેજ ઓડિયો-વિઝ્યુઅલ કન્ટેન્ટ દ્વારા દેશ-વિદેશના પ્રવાસીઓ શ્રીકૃષ્ણના જીવનની કથાઓ સરળતાથી સમજી શકશે. આ ઉપરાંત, આશ્રમમાં આવેલા પૌરાણિક ગોમતી કુંડ (Gomti Kund) પાસે એક ભવ્ય લાઈટ એન્ડ સાઉન્ડ શોનું આયોજન કરવામાં આવશે. સ્કંદ પુરાણ (Skanda Purana) મુજબ, ભગવાન શ્રીકૃષ્ણએ ગુરુ ભક્તિ કાજે પોતાના બાણથી પૃથ્વી ભેદીને અહીં ગોમતી નદીના જળ પ્રગટ કર્યા હતા.
108 ફૂટ ઊંચી પ્રતિમા અને આધુનિક સુવિધાઓ
સાંદીપનિ લોકનું મુખ્ય આકર્ષણ ભગવાન શ્રીકૃષ્ણની (Lord Krishna) 108 ફૂટ ઊંચી ભવ્ય પ્રતિમા હશે, જે મધ્યપ્રદેશની (Madhya Pradesh) સૌથી ઊંચી પ્રતિમાઓમાંથી એક ગણાશે. સુરક્ષા અને સગવડ માટે સમગ્ર કેમ્પસ સ્માર્ટ લાઈટિંગ, સીસીટીવી (CCTV) કેમેરા, સોલર એનર્જી, રેઈન વોટર હાર્વેસ્ટિંગ અને ફાયર સેફ્ટી જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ હશે. ગુરુપૂર્ણિમા (Guru Purnima) જેવા પવિત્ર દિવસે અહીં ‘પાટી પૂજન’ (Pati Pujan) માટે આવતા હજારો બાળકો અને શ્રદ્ધાળુઓ માટે આ નવું સંકુલ સિંહસ્થ 2028 પહેલાં ખુલ્લું મૂકાતાં જ ધાર્મિક પ્રવાસનને અભૂતપૂર્વ વેગ મળશે.












