જૂનાગઢ જિલ્લાની એકમાત્ર એવી બેઠક જ્યાં સૌથી વધુ પાટીદારના એક લાખ કરતા વધુ મતો છે. જેથી આ બેઠક ઉપર ૨૦૨૫ માં ભાજપ-કોંગ્રેસ અને આપે ત્રણેયે પોતાના ઉમેદવાર પટેલ જ્ઞાતિમાંથી પસંદ કર્યા છે. ભાજપે ફરી બેઠક કબજે કરવા સહકારી ક્ષેત્રના આગેવાન એવા પૂર્વ ભાજપ પ્રમુખ કિરીટ પટેલને ફરીથી મેદાનમાં ઉતાર્યા છે. તો કોંગ્રેસે નવા ચહેરા તરીકે નિતીન રાણપરીયા અને આપે સુરતના ગોપાલ ઈટાલીયાને ટીકીટ આપી છે. મહત્ત્વનું છે કે, 2022માં અહીં આપના ઉમેદવારનો વિજય થયો હતો.
વિસાવદરની જનતાએ છેલ્લા 18 વર્ષમાં યોજાયેલી ચાર ચુંટણીમાં અલગ અલગ ચાર પાર્ટીને તેમના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરવાની તક આપી હતી. જેમાં 2007માં છેલ્લે ભાજપના ઉમેદવારની જીત થયા પછી વર્ષ 2012માં જીપીપી, 2014 અને 2017માં કોંગ્રેસ અને 2022માં આમ આદમી પાર્ટીના ઉમેદવારને ચૂંટી કાઢ્યા હતા. આમ જોઈએ તો દરેક ચુંટણીમાં અલગ અલગ પક્ષોને જીતાડયા છે.
87 વિસાવદર વિધાનસભા બેઠકનો ઈતિહાસ જોઈએ તો છેલ્લી 15 ચુંટણીમાં કોંગ્રેસએ પાંચ વખત, ભાજપે 4 વખત અને આમ આદમી પાર્ટીએ એક વખત જીત હાંસલ કરી છે. જેમાં કેશુભાઈ પટેલ 1195 અને 1998માં અહીંથી ભાજપમાંથી અને 2012માં જીપીપીમાંથી ધારાસભ્ય બન્યા હતા. છેલ્લે 2022ની ચુંટણીમાં આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીનો ભાજપના હર્ષદ રીબડીયા સામે 7063 મતે વિજય થયો હતો. ભૂપત ભાયાણીને 66210 મત અને હર્ષદ રીબડીયાને 59147 મત મળ્યા હતા. પરંતુ ભૂપત ભાયાણી આપમાંથી જીતીને રાજીનામું આપી ભાજપમાં જોડાતા પેટા ચુંટણી આવી અને હાલ ફરીથી આ બેઠક કબજે કરવા માટે હાલ ભાજપ-કોંગ્રેસ અને આપ વચ્ચે રસાકસી ભર્યો જંગ જામ્યો છે.
વિસાવદર બેઠક પર પાટીદાર મતદારોનો દબદબો છે, જેને લઈને ત્રણેય રાજકીય પક્ષે જ્ઞાતિને ધ્યાનમાં રાખીને પાટીદાર ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. કુલ મતદારો 2.61 લાખની સામે એક લાખ કરતા વધુ મતો પાટીદાર સમાજના છે, ત્યારે અત્યાર સુધી અહીંથી પાટીદાર સમાજમાંથી જ ઉમેદવાર વિજેતા બનીને ધારાસભ્ય બન્યા છે. અન્ય જ્ઞાતિની સરખામણીએ એક જ સમાજના વધુ મત છે, ત્યારે અન્ય જ્ઞાતિમાં દલિત, પ્રજાપતિ, બ્રાહ્મણો, લઘુમતી સહિતના મતદારો પણ ચુંટણીમાં શું ભાગ ભજવે છે, તે જોવાનું રહેશે.
વિસાવદરમાં મતદારોની સંખ્યા
પુરુષ મતદારોઃ 1,35,597
સ્ત્રી મતદારોઃ 1,24,451
કુલ મતદારોઃ 2,61,052
વિસાવદરમાં જ્ઞાતિવાર સમીકરણો
પાટીદારઃ 1,00,000
આહીરઃ 8,000
લઘુમતીઃ 7,000
પ્રજાપતિઃ 7,000
ક્ષત્રીયઃ 8,700
અન્યઃ 43,000