Sarangpur Hanuman Photos: ભગવાન શિવની આરાધના પર્વનો શ્રાવણ મહિનાનો છે. ત્યારે સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આજે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણા અને કોઠારી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી દાદાને નાડાછડીના વાઘા એવં સિંહાસને નાડાછડી અને ફુલોનો શણગાર કરાયો છે. આજે સવારે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા અને શણગાર આરતી કોઠારી વિવેકસાગર સ્વામી દ્વારા કરવામાં આવી હતી.


આજે મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના વિશેષ દર્શનનો લ્હાવો લીધો હતો. મહત્ત્વનું છે કે, શ્રાવણ માસ દરમિયાન શ્રીહરિ મંદિર દિવ્ય હિંડોળાના આ અનેરા દર્શનનૉ લાભ હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.

આજે દાદાને કરાયેલાં શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું હતું કે, આજે શ્રાવણ મહિનાના બીજા મંગળવાર નિમિત્તે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને વિશેષ નાડાછડીમાંથી બનેલા વાઘા અને સિંહાસનને નાડાછડીનો શણગાર કરાયો છે. દાદાના વાઘા રાજકોટમાં પાંચ દિવસની મહેનતે તૈયાર થયા છે. તો દાદાના સિંહાસને કરાયેલો શણગાર કરતાં 6 સંતો, પાર્ષદ અને ભક્તોને 8 કલાકનો સમય લાગ્યો હતો. દાદાનો આ શણગાર કૂલ 1 હજાર કિલો નાડાછડીમાંથી તૈયાર કરાયો છે. આ નાડાછડી ભક્તોને રક્ષાસૂત્ર તરીકે સંતો દ્વારા બાંધી આપવામાં આવશે.