કહેવાય છે ને કે એક ગુજરાતી ક્યાંય પાછો ના પડે…. અત્યારે ગુજરાતીઓ દરેક ક્ષેત્રે અને દેશ- વિદેશમાં ડંકો વગાડી રહ્યાં છે. ત્યારે એકે ગર્વની વાત કહી શકાય કે આપણા ગુજરાતના નરેન્દ્ર પટેલ (ચેરમેન, લાયટો ઈમિગ્રેશન ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ) અને પ્રખ્યાત સિંગર સાગર પટેલ કેનેડામાં ઉમિયા માતાના મંદિરનું નિર્માણ કરવા જઈ રહ્યાં છે. આ આધ્યાત્મિક પહેલની ઘોષણા સિંગર સાગર પટેલના બર્થ ડે સેલિબ્રેશન કાર્યક્રમમાં કરવામાં આવી હતી. એજે – ધ મ્યુઝિક સ્ટુડિયો દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સિંગર સાગર પટેલ સહિત નરેન્દ્ર પટેલ – (ચેરમેન, લાયટો ઈમિગ્રેશન ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ). અને અંકિત પટેલ – (ચેરમેન, એજે- ધ મ્યુઝિક સ્ટુડિયો) એ ઉપસ્થિત મહેમાનોનું અભિવાદન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે સાગર પટેલની બર્થડે પાર્ટી ખાસ રીતે ઉજવાઈ હતી જેમાં, ઉમિયા માતાના ટ્રસ્ટીઓ, ઇન્ડસ્ટ્રીના જાણીતા ગાયક અને અભિનેતાઓ આવ્યા હતા અને આ ઉજવણી સાથે એક ફાઉન્ડેશનના ઉદઘાટનનો પ્રસંગ પણ યોજાયો હતો.
કેનેડામાં ઉમિયા માતાનું મંદિર સ્થાપવાની મહત્વકાંક્ષી યોજના વિશે ચર્ચા કરતા આયોજનકર્તાઓએ જણાવ્યું હતું કે, ‘‘કેનેડામાં વસવાટ કરતા ભારતીય, ખાસ કરીને ગુજરાતી સમાજ માટે આ મંદિર માત્ર આધ્યાત્મિક સ્થળ નહીં પરંતુ સાંસ્કૃતિક એકતાનું પણ પ્રતીક બનશે અને સાથે-સાથે તેમના સંસ્કૃતિને જીવંત રાખવામાં મદદરૂપ થશે.”
સાગર પટેલે અગાઉ અનેક પ્રખ્યાત પ્રોજેક્ટ્સ પર પોતાની પ્રતિભા બતાવી છે અને હવે તેઓ પોતાની ગાયન યાત્રાને વૈશ્વિક સ્તરે લઈ જવાનો દ્રષ્ટિકોણ ધરાવે છે. કેનેડામાં ઉમિયા માતાના મંદિરના નિર્માણ કાર્યની યાત્રાની શરૂઆત નવરાત્રીથી થઈ રહી છે, સાગર પટેલ કેનેડામાં લાયટો ઈમિગ્રેશન ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ દ્વારા આયોજિત નવરાત્રીમાં ધૂમ મચાવવા માટે ત્યાર છે જેનાથી લોકોમાં ભક્તિ અને સમર્પણ ઉજાગર થશે. એજે- ધ મ્યુઝિક સ્ટુડિયો સાગર પટેલ સાથે મળીને 31 નવા મ્યુઝિક આલ્બમ્સ લાવી રહ્યાં છે. અન્ય એક સરાહનીય વાત એ છે કે, એજે – ધ ફિલ્મ ફેક્ટરી દ્વારા જે ફિલ્મોનું નિર્માણ કરાશે તેમાં સાગર પટેલ પ્લેબેક સિંગર તરીકે જોડાશે. સાગર પટેલે તાજેતરમાં જ નિર્માણ પામેલ ગુજરાતી ફિલ્મ અબ્બા ડબ્બા જબ્બાના એક સોન્ગમાં પણ પોતાનો અવાજ આપ્યો છે.
નરેન્દ્ર પટેલનું હંમેશાથી વિઝન રહ્યું છે કે તેઓ કેનેડામાં નવરાત્રીનું આયોજન કરે અને તેનાથી જ ઉમિયામાતાના શિખરબદ્ધ મંદિરના કાર્યનો આરંભ થાય. તેઓએ કેનેડાના કૅલગેરી, ટોરોન્ટો, હેમિલ્ટન, ઓટાવા, મોન્ટ્રિયાલ સહીત અનેક સિટીઝમાં નવરાત્રીનું આયોજન કર્યું છે.
આ રીતે, ગુજરાતી સમુદાય માટે ખાસ કરીને નવરાત્રીના પાવન અવસરે કેનેડામાં ઉમિયા માતાના મંદિરના સ્થાપનાનો આરંભ થવા જઈ રહ્યો છે. આ ધાર્મિક અને સાંસ્કૃતિક યાત્રા સાગર પટેલના સંગીત અને સમર્પણ સાથે મજબૂત બની રહી છે. નરેન્દ્ર પટેલ અને અંકિત પટેલના પ્રયાસોથી આ પ્રોજેક્ટને વધુ બળ મળશે. આ પહેલથી કેનેડામાં વસતા તમામ ભારતીય, ખાસ કરીને ગુજરાતીઓને પોતાની મૂલ્યો અને સંસ્કૃતિને વધુ ગાઢ રીતે અનુભૂતિ થશે.
આ પ્રસંગે વિશ્વભરમાં વસતા ગુજરાતી સમુદાયને અનુરોધ કરવામાં આવે છે કે તેઓ ઉમિયા માતાના આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટને તેમનો સંપૂર્ણ સહયોગ અને આશીર્વાદ આપીને આ યાત્રાને સફળ બનાવે.