Ahmedabad Chandola Demolition: ચંડોળા તળાવની જગ્યામાં ગેરકાયદેસર બિવામાં આવેલા વીસ જેટલા ધાર્મિક સ્થાન અને 500 જેટલા કાચા-પાકા બાંધકામ બુધવારે સવારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી પડાયા હતા. ધાર્મિક સ્થાન તોડવાની કામગીરી સમયે લોકોએ હોબાળો મચાવતા નિયંત્રણમાં લઈ કામગીરી પુરી કરાઈ હતી.
ચંડોળા તળાવમાંથી કાટમાળ દુર કરવાની સાથે તળાવને ઉંડુ કરવાની કામગીરી ચાલી રહી છે. તળાવની ફરતે તળાવમાં રહેલા પાણીને લોકો જોઈ શકે એ માટે પારદર્શક ગ્રીલ લગાવવાની કામગીરી ટૂંકસમયમાં શરુ કરવામાં આવશે. તળાવનો વિકાસ થાય એ માટે તળાવની ફરતે ચોમાસા પહેલા પ્લાન્ટેશન પણ કરવાની મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જાહેરાત કરાઈ છે.
મંગળવારે 8500 જેટલા કાચા-પાકા બાંધકામ તોડયાનો દાવો કરી ચંડોળા તળાવની 2.50 લાખ ચોરસમીટર જગ્યા ખાલી કરાઈ હોવાનુ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કહેવાયું હતું. બુધવારે પોલીસ વિભાગ સાથે રહી અત્યંત ચોકસાઈથી ધાર્મિક દબાણો દૂર કરાયા હોવાનું મ્યુનિસિપલે સત્તાવાર જાહેર કર્યું છે.