Vadtal Dwishatabdi Mahotsav: પદાર્થના સેવન અને વ્યસનોની બુરી આદત પૂરા પરિવારને બરબાદ કરે છે.. આ સત્ય હકીકત ભગતજીએ ગામોગામ કથાવાર્તા સાથે સમજાવી હતી અને ફળસ્વરુપે એનું અનુસરણ પણ થયું છે. અનેક પ્રકારનાં વ્યસન અને બદીઓથી ગ્રસ્ત એવા રામપુરા, મગનપુરા, નવાગામ, બામરોલી તેમજ ભાલ વિસ્તાર અને કાનમ પ્રદેશ સહિતના 500 ઉપરાંત ગામોમાં જાતે ઘરે ઘરે ફરીને ભગતજીએ અનેક લોકોને વ્યસનમુક્ત કરાવી તેમને કંઠી બાંધી સત્સંગી બનાવ્યા છે. જ્યાં આજે સવાર સાંજ સ્વામિનારાયણ મહામંત્રની ધૂન ગૂંજે છે.
સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.
વ્યસનમુક્ત ગામ રામપુરા કાનજી ભગતે આજથી 40 વર્ષ પૂર્વે બક્રોલની સીમમાં આવેલ સમસ્ત રામપુરા ગામને શ્રીજી મહારાજનો મહિમા સમજાવી સત્સંગને રંગે રંગી સૌને કંઠી બાંધી હતી. બસ, ત્યારથી આ રામપુરા ગામ ભગતજીના સત્સંગનું ગામ કહેવાયું છે. ત્યાં ઘરે ઘરે મંદિર છે અને સહજાનંદ સ્વામીની મૂળ મૂર્તિઓ પ્રતિષ્ઠિત છે જેની રોજ ભાવિકો સેવાપૂજા કરે છે, ઠાકોરજીને થાળ ધરાવાય છેઃ થાળનાં પદ બોલાય છેઃ ઘરના આબાલવૃધ્ધ સહુ મજૂરીએ જતાં પૂર્વે ઘરમાં પધરાવેલ શ્રીજી મહારજની મૂર્તિને પગે લાગીને જાય છેઃ સાંજે આરતી કરે છે, ધૂન કરે છે, આ સંસ્કાર સિંચન ભગતજીનું છે.
ધન્ય છે આ સંતપુરુષને… રામપુરામાં ખોરડે ખોરડે દેવના દીવા બળે છે, આ જાગૃતિ કોની તો કહે ભગતજીની… ગામમાં સિંહાસન, મૂર્તિઓ ભગતજીએ સેવાર્થે ભેટ આપેલ છે અને ગુરુ દક્ષિણામાં વ્યસનમુકિત માગી લીધી હતી એટલે તો કહેવાયું છે. આ રામપુરા ગામમાં એમના શિષ્યો દ્વારા આજે સુંદર હરીમંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. સહજાનંદ સ્વામીની ચિત્રપ્રતિમાને ભગવાન તૂલ્ય માનીને તેની ઉપાસના, ભક્તિ કરવાનો બોધ ભગતજીએ સત્સંગીઓના ઘેર ઘેર જઇ આપ્યો હતો
સત્સંગસંવર્ધન અર્થે શ્રીજી મહારાજની ગાયના ઘીની હાથછાપની હજારો ચિત્ર પ્રતિમાનું પણ તેમણે ઘરે ઘરે વિનામૂલ્યે વિતરણ કર્યું હતું. હાલ પણ એ પ્રવૃત્તિ જ્ઞાનબાગ દ્વારા ચાલુ જ છે. આ સંત વિભૂતિની સેવા પ્રવૃતિઓ નાની સૂની નથી તે ગામોગામ વિસ્તરી છે. ધોલેરા, ડભાણ, બુધેજ, કોઠ, વડતાલ વગેરે ગામોમાં તેમણે મોટા યજ્ઞો પણ કર્યાં છે, તેમજ અનેક મંદિરોના જિર્ણોધ્ધાર પણ કરાવ્યા છે. બામરોલી, મગનપુરા, ખડાનવી, આખોલ, હૈજરાબાદ, મુગટપુરા, રામનગર, રધવાણજ, હાલોલ, ઇસરવાડા, કોઠ, નારાયણ નગર, ગોલા ગામડી, કેરિયાવી, કોઠ, ચલોડા જેવાં અનેક ગામમાં હરિમંદિરો કરાવ્યાં તથા મૂર્તિઓ આપી પ્રાણપ્રતિષ્ઠાઓ કરાવી છે. સત્સંગ જાગૃતિ અર્થે તેમણે 25 વર્ષ સુધી વડતાલ થી ગઢપુર તથા પાંચ વર્ષ વડતાલથી અમદાવાદની પગપાળા પદયાત્રાઓ યોજી હતી
સહુના આકર્ષણનું કેન્દ્ર જ્ઞાનબાગ
વડતાલનો જ્ઞાનબાગ એટલે જ્ઞાન,સાહિત્ય અને કલાની સાધનાનું કેન્દ્ર. આજથી આશરે 50 વર્ષ પૂર્વે શ્રી સ્વામિનારાયણ ભગવાનની આ લીલાભૂમિને વિકસાવવાની કપરી કામગીરી ભગતજીએ હાથ ધરી હતી અને આજે તેને નંદનવન સમી રળિયામણી અને દર્શનીય બનાવી દીધી છે. જ્ઞાનબાગ એટલે ભગતજીનું અનોખું સર્જન. કલાત્મક અને રજવાડી દુર્લભ ચીજવસ્તુઓથી શોભતો આ જ્ઞાનબાગ દેશવિદેશમાં પણ એટલો જ લોકપ્રિય બન્યો છે.
ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ જ્ઞાનબાગની મુલાકાત લઇ પ્રભાવિત બન્યા હતા. જ્ઞાનબાગનું નામાભિધાન તત્કાલિન આચાર્ય બિહારીલાલજી મહારાજે કર્યું હતું અને તે પૂર્વે તે ‘બેઠક’ અને ‘ઓટા’ તરીકે પણ ઓળખાય છે.
ગોમતીજીનું જતન
આજથી 60 વર્ષ પૂર્વે નીર ખૂટતાં શૂષ્ક બનેલી ગોમતીમાં જળરાશિ વહાવવાની તેમની સેવા અદભૂત છે. ગોમતી સરોવરને ભગતજી એક તીરથ માની તેની કાયમ વંદના કરતા હતા
ભગતજીની સાહિત્યસેવા
સંપ્રદાયની ધાર્મિક સાહિત્ય પ્રવૃત્તિના વિકાસમાં પણ કાનજી ભગતનું મોટું યોગદાન રહ્યું છે. ભગતજીએ અધમ ઉધ્ધારણ, જીવન માર્ગદર્શન, તેમજ દ્વિશતાબ્દી પ્રસંગે સ્વામિનારાયણ ભગવાનના જીવન, કવન અને જ્ઞાનનું રસપાન કરાવતા 200 વિવિધ વિષયો પર બે લાખ પુસ્તિકાઓ પ્રસિદ્ધ કરી હતી. તેમજ બાળકોને રસપ્રદ લાગે એવા સચિત્ર પુસ્તકો સચિત્ર રંગીન યમદંડ, બ્રહ્માનન્દ સ્વામી, જોબનપગી, ધર્મદેવ અને ભક્તિમાતા વગેરેનું પ્રકાશન ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં કર્યું છે. અંગ્રેજી ભાષામાં વચનામૃત, શિક્ષાપત્રી ગ્રંથનું બહુજ પ્રમાણભૂત પ્રકાશન તેમની પ્રેરણાથી થયું છે.
આચાર્ય તેજેન્દ્રપ્રસાદજી મહારાજ દ્વારા બહુમાન
તેમણે ગુજરાતના કલાગુરુ ચિત્રકાર શ્રી રવિશંકર રાવળ પાસે ચિત્રો દોરાવીને પ્રથમ એવી સચિત્ર શિક્ષાપત્રી પ્રગટ કરી હતી. જે અમદાવાદ કાલુપુર મંદિર દ્વારા પ્રકાશિત થઈ હતી. આ સચિત્ર શિક્ષાપત્રીથી પ્રભાવિત થઇ આચાર્ય તેજેન્દ્રપ્રસાદજી મહારાજે ભગતજીનું સાફો બાંધી બહુમાન કર્યું હતું.
દિલ્હી સરકારનું રાષ્ટ્રીય પારિતોષિક
કલાગુરુ રવિશંકર રાવળની પ્રેરણાથી એમણે શ્રીજી મહારાજના જીવન અને ઉપદેશ આધારિત 600થી વધારે રંગીન તૈલચિત્રો તૈયાર કરાવીને ચાર વિશાળ આર્ટ ગેલેરીઓમાં પધરાવ્યાં છે. જે વડતાલના નજરાણા સમાન છે. જેની કોઈ એન્ટ્રી ફી નથી. 1975ની સાલમાં શ્રેષ્ઠ ચિત્ર માટે દિલ્હી સરકારે એમને લલિત કલા એકેડમી તરફથી રાષ્ટ્રીય પારિતોષિક આપ્યું હતું. સંપ્રદાયના મૂળભૂત ગ્રંથોનું ગુજરાતી તથા અંગ્રેજી ભાષામાં પ્રકાશન એ એમની સંપ્રદાયની સૌથી મોટી સાહિત્ય સેવા છે.
ગામ ઇંગોરાળા
પાર્ષદવર્ય કાનજી ભગત મૂળ અમરેલીના ઇંગોરાળા [ જાગાણી ] ગામના વતની હતા અને નાનપણથી જ વૈરાગ્ય જાગતા તેઓ અમદાવાદ કાળુપુર મંદિરમાં આવ્યા હતા અને થોડો સમય રહ્યા બાદ તેઓ વડતાલ આવ્યા હતા. કાનજી ભગતે તત્કાલિન આચાર્ય આનંદપ્રસાદજી મહારાજના ‘હજુરી પાર્ષદ’ તરીકે સેવા આપી હતી અને મહારાજનો રાજીપો મેળવ્યો હતો. તેઓ જ્ઞાનજીવનદાસજી સ્વામી વિરસદવાળાની સાથે પણ ઘણું રહેતા અને એમની સેવામાં રહેતા. કાનજી ભગતના શિષ્યોમાં પાર્ષદ કનુ ભગત, લાલજી ભગત તથા હરિદાસ ભગત છે. આ ત્રણેય શિષ્યોએ ખૂબ સેવા કરી ભગતજીનો રાજીપો સંપાદિત કર્યો છે.