Vadtal Dwishatabdi Mahotsav: વડતાલ ધામ દ્રિશતાબ્દીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે અનેક સંતો અને સતસંગીઓના યોગદાનથી આજે સ્વામિનારાયણ સંપ્રદાયની ઉન્નતિ અને વિકાસ થયો છે. ત્યારે આવા જ સ્વામિનારાયણ સંપ્રદાયની ઉન્નતિ અને વિકાસમાં જેમનું મહત્ત્વનું યોગદાન છે એવા જ્ઞાનભૂમિ ઉમરેઠના સદગત નાથજીભાઇ ઇચ્છારામ શુક્લની શ્રીલક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દિ મહોત્સવ પ્રસંગે ભાવથી ભાવવંદના કરીએ. નાથજીભાઇ શુક્લના દાદા દયારામભાઇ શુક્લ તો સ્વામિનારાયણ ભગવાનના સમકાલિન હતા અને શ્રીહરિની સેવાનો તેમને લાભ મળ્યો હતો. એટલું જ નહીં ધર્મકૂળ જ્યારે દ્વારકાની યાત્રાએ ગયું ત્યારે સચ્ચિદાનંદ સ્વામી સાથે ગુહસ્થ હરિભક્ત તરીકે દયારામભાઇ શુક્લ પણ સાથે ગયા હતા અને યાત્રાએ જતી વેળા શ્રીહરિએ દયારામભાઇના ભાલે કુમકુમનો ચાંદલો પણ કર્યો હતો.!
સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.
સૌથી મોટી અને ગૌરવ લેવા જેવી વાત તો એ છે કે, આ બધો ઉલ્લેખ ભક્તચિંતામણિ ગ્રંથમાં થયો છે. નાથજીભાઇ શુક્લ તો સંપ્રદાયના એક વિભૂતિ હતા અને તેમના જેટલા ગુણગાન ગાઇએ એટલા ઓછા છે. મૂળ નામ ‘પ્રેમાનંદ’ પણ સદગુરુ અદભૂતાનંદ સ્વામીએ તેમનું નામ પાડ્યું હતું. ‘નાથજીભાઇ..!’ બસ, ત્યારથી પ્રેમાનંદ શુક્લ નાથજીભાઇ ઇચ્છારામભાઇ શુક્લ બન્યા.! પિતા ઇચ્છારામભાઇ શુક્લ તો સંપ્રદાયના તમામ ગુણસભર એકાંતિક ભક્ત હોય આ ગળથૂંથી વારસો ભક્તરાજ નાથજીભાઇમાં ઉતર્યો હતો.
નાથજીભાઇ શુક્લના સત્સંગ સુસંસ્કારનું પોષણ અને સંવર્ધન આચાર્ય વિહારીલાલજી મહારાજ તથા સદગુરુ સંતો બાલમુકુંદદાસજી સ્વામી, બ્રહ્મચારી નિષ્કામાનંદજી, શિષ્ય પુરાણી બાલકૃષ્ણાનંદજી, શાસ્ત્રી કુંજવિહારીદાસજી, બ્રહ્મચારી કપિલેશ્વરાનંદજી તથા પુરાણી સ્વામી રઘુવીરચરણદાસજીએ કર્યું હતું. જેતે સમયે સ્વામિનારાયણ સંપ્રદાય પર આવી પડેલા આંતરિક અને બાહ્ય ઝંઝાવાતો વેળા અન્યો સાથે સંપ્રદાય તરફે અડીખમ રહી સંપ્રદાયને હેમખેમ પાર ઉતારી વધુ ઉજ્જવળ અને પ્રકાશમય બનાવવામાં નાથજીભાઇનો મહામૂલો ફાળો રહ્યો છે.
સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે પણ નાથજીભાઇનું અનોખું પ્રદાન છે. સંપ્રદાયમાં સહુ પ્રથમ ‘સત્સંગ વિદ્યાર્થી આશ્રમ’ વડોદરા ખાતે તેમણે સ્થાપ્યો હતો અને પરિણામસ્વરૂપે તેમનું વિશાળ શિષ્યવૃંદ ઊભું થયું હતું અને આજે પણ તે અસ્તિત્વમાં છે તે બધા સેવકો ‘નાથજી મંડળવાળા’ કહેવાય છે. તેમની સેવાપ્રવૃત્તિઓ પણ કાર્યરત છે. આ બધા જ શિષ્ય સેવકો નાથજીદાદાની પ્રેરણા અનુસાર વર્ષોથી વડતાલની પૂનમ ભરવાની પરંપરાને અનુસરી રહ્યા છે.
સત્સંગ અને સદાચારના પાયા પર તેમણે જે યુવાનોનો સમૂહ ઊભો કર્યો છે તેમાંના કેટલાક તો ન્યાયખાતાના ઉચ્ચ અધિકારીઓ, વકીલો, પ્રોફેસરો તો કેટલાક વ્યાપારીઓ બન્યા છે. નાથજીભાઇ શુક્લ ખરા અર્થમાં એક સંતવિભૂતિ હતા પણ પોતે ક્યારે ય આ વાત સ્વીકારી નહોતી અને કહેતા કે, સહુના કર્તાહર્તા અને તારણહાર શ્રી હરિ છે. તેમની જ્ઞાનવાર્તા કરવાની શૈલી અનોખી હતી. કોઇ બાબતે ખંડનાત્મક નીતિ અપનાવતા નહીં. સ્વામિનારાયણ ભગવાને પ્રવર્તાવેલું જ્ઞાન અને ધર્મપ્રણાલિકાઓ સર્વોપરિ છે અને કહેતા કે સર્વે જ્ઞાનનું મૂળ અને પ્રેરણાસ્રોત તો ભગવાન સ્વામિનારાયણ જ છે.
એમની વાણીમાં નર્યું માધુર્ય હતું પણ સાથે ભગવત્ પ્રસાદ પણ હતો. સાચો મુમુક્ષ સૌ પ્રથમ સાચો માનવ બને તેવી માનવતાનું દર્શન તેમના જીવન કવનનું અતિ મહત્ત્વનું પાસું છે. માદરે વતન ઉમરેઠ માટે પણ નાથજીદાદાએ ઘણું કર્યું છે. તેઓ ખરેખર ઉમરેઠ માટે મહામાનવ હતા. પોતાના અંતેવાસી અને આદર્શ શિષ્ય એવા નડિયાદ નિવાસી ઇશ્વરલાલ લાભશંકર પંડ્યાને તમામ જવાબદારી સોંપી સને 1955માં અમદાવાદ મુકામે અક્ષરવાસી થયા હતા.