Vadtal Swaminarayan Mandir: વર્તમાન ગાદિપતિ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદ સાથે વડતાલ મંદિરના મુખ્ય કોઠારી સ્વામી તથા મોટેરા સંતોએ પૂજા વિધિ કરાવીને આરતી અને જયનાદ સાથે રથનું પ્રસ્થાન કરાવ્યું છે. વડતાલધામને આંગણે આગામી તારીખ 7 નવેમ્બરથી તારીખ 15 નવેમ્બર-2024 દરમિયાન શ્રીલક્ષ્મીનારાયણ દેવ દ્વિ શતાબ્દી મહોત્સવ ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવાનાર છે. આ મહોત્સવના ઉપલક્ષમાં ગુજરાત-મહારાષ્ટ્રના 1000 ઉપરાંત ગામોમાં રહેતા હરિભક્તોને ઘરે-ઘરે નિમંત્રણ પહોંચે તે માટે વડતાલ સંસ્થાન દ્વારા આમંત્રણ પ્રચાર રથનું આયોજન કરવામાં આવેલ છે.

જે અનુસાર શ્રાવણ માસના બીજા સોમવારે આ પ્રચાર રથનું વડતાલ મંદિરના કોઠારી ડોક્ટર સંત વલ્લભદાસજી સ્વામી, ભાઈ સ્વામી, શ્રી વલ્લભ સ્વામી, પી પી સ્વામી , સુર્યપ્રકાશ સ્વામી , નિર્ભય ચરણ સ્વામી , કે પી સ્વામી હરિકૃષ્ણ સ્વામી સુરત ગુરુકુલ , વિટ્ઠલ ભગત સહિત સંપ્રદાયના સંતો અને હરિભક્તોની ઉપસ્થિતિમાં પૂજા વિધિ બાદ મંગલ પ્રસ્થાન કરાવ્યું હતું.

વડતાલ મંદિરના કોઠારી ડોક્ટર સંત સ્વામી એ જણાવ્યું હતું કે શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વી શતાબ્દી મહોત્સવ “ના ભૂતો ના ભવિષ્યતી” જેવો દેશ-વિદેશના લાખો હરિભક્તોની ઉપસ્થિતિમાં ઉજવાશે જેનો લાભ લેવા માટે અમેરિકા, લંડન ,ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, કેનેડા, ન્યૂઝીલેન્ડ , દુબઈથી લાખો સત્સંગીઓએ મહોત્સવમાં ભાગ લેવા માટે પોતાની ટિકિટો બુક કરાવી દીધી છે. વિદેશથી આવતા હરિભક્તો ના ઉતારા માટે ૨૦૦ એકર થી વધુ જગ્યામાં ટેન્ટ સીટી બનાવવામાં આવી રહી છે જેનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ મહોત્સવમાં પધારનાર તમામ ભક્તોને સવારે ચા- નાસ્તો, બપોરે પાકું જમણ તેમજ બપોરે ચા- કોફી તથા સાંજે વાળું કરાવવામાં આવનાર છે.


આમંત્રણ રથની માહિતી આપતા જણાવ્યું હતું કે, આપણા મહારાજ આપણા શહેરમાં જેમાં આણંદ શહેરમાં તારીખ 12થી 15 ઓગસ્ટ, નડિયાદ શહેરમાં તારીખ 16થી 23 ઓગસ્ટ, વડોદરા શહેરમાં તારીખ 24થી 31 ઓગસ્ટ, ભરૂચ શહેરમાં તારીખ 1થી 5 સપ્ટેમ્બર, સુરત શહેરમાં તારીખ 6થી 13 સપ્ટેમ્બર, તાપી શહેરમાં તારીખ 14થી 15 સપ્ટેમ્બર, ડાંગ શહેરમાં તારીખ 16થી 19 સપ્ટેમ્બર, નવસારી શહેરમાં તારીખ 20થી 21 સપ્ટેમ્બર, વલસાડ શહેરમાં તારીખ 22થી 25 સપ્ટેમ્બર ,વાપી શહેરમાં તારીખ 26થી 27 સપ્ટેમ્બર, મુંબઈ શહેરમાં તારીખ 30 સપ્ટેમ્બરથી તારીખ 7 ઓક્ટોબર, ખાનદેશ તારીખ 8 ઓક્ટોબરથી 12 ઓક્ટોબર સુધી 1000 ઉપરાંત ગામોમાં આમંત્રણ રથ ફરી હરિભક્તોને દ્વી શતાબ્દી મહોત્સવનું આમંત્રણ પાઠવશે. આમંત્રણ રથની સાથે પવિત્ર સ્વામી, નિર્ભય સ્વામી તથા બે હરિભક્તો સાથે રહેશે.