Indian Pakistan War Update: ભારત-પાકિસ્તાન વચ્ચે ભીષણ તંગદિલીની સ્થિતિ પ્રવર્તી રહી છે એવા સમયે જમ્મુ, પઠાનકોટ અને જેસલમેરમાં ગુરુવારે મોડી રાત્રે પાકિસ્તાને કરેલા હુમલાના પ્રયાસરૂપી દુઃસાહસનો ભારતીય સૈન્યએ જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતીય સૈન્યએ ગુરુવારે મધરાતે કરાચી, લાહોર અને ઇસ્લામાબાદ સહિતના પાકિસ્તાની શહેરોને ધમરોળી નાખ્યા હતા.
ભારતે વિમાનવાહક જહાજ વિક્રાંત પરથી પાકિસ્તાનના કરાચી પોર્ટ સિટી અને ઓરમારા બંદર પર ભીષણ મિસાઇલ હુમલા કર્યાના અહેવાલ છે, જેમાં ભારે નુકસાન થયાનો અંદાજ છે. આ હુમલાને પગલે કરાચી અને ઓરમારામાં ઠેરઠેર આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દેખાયા હતા. તેના પગલે બંને પોર્ટ સિટીમાં લોકો દરિયાકાંઠાના વિસ્તારોમાંથી અંદરના ભાગો તરફ ભાગ્યા હતા.
ભારતે કેટલી આકરી કાર્યવાહી કરી છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આખા પાકિસ્તાનમાં મોડી રાત્રે કફફ્યૂ લાદી દેવાયો હતો. ઈસ્લામાબાદમાં પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાજ શરીફના ઘરની નજીક પ્રચંડ વિસ્ફોટ થયાના પણ અહેવાલ છે તો બીજી તરફ પાકિસ્તાનના સૈન્યમાં બળવો થયાનું કહેવાય છે. પાકિસ્તાનના આર્મી ચીફ અસિમ મુનિરની અટકાયત કરાઇ છે અને તેમના સ્થાને સાહીર શમશાદ મિર્ઝાને આર્મી ચીફ બનાવી દેવાયાની અટકળો છે.
સાંબા, સાતવારી, આરએસ પુરા અને અર્નિયામાં પાકિસ્તાને 8 મિસાઈલ છોડી હતી. જે તમામ મિસાઈલોને ભારતીય એર ડિફેન્સ યુનિટોએ આંતરીને તોડી પાડી હતી. સુરક્ષા કારણોસર જમ્મુમાં અને માતા વૈષ્ણોદેવી મંદિર ખાતે સંપૂર્ણ બ્લેકઆઉટ પાળવામાં આવ્યો હતો. અમૃતસરના સુપ્રસિદ્ધ હરમંદિર સાહિબ ખાતે પણ તેના ઈતિહાસમાં સૌપ્રથમ વખત સંપૂર્ણ બ્લેકઆઉટ પળાયો હતો.
India Pakistan War: પાકિસ્તાન પર ઈન્ડિયન નેવીનો વળતો પ્રહાર, INS વિક્રાંત પરથી લોંગ રેન્જ ક્રૂઝ મિસાઈલથી લાહોર પર પણ હુમલો
