Sarangpur Hanuman Mandir Photos: આજે હનુમાન જયંતીના દિવસે સાળંગપુરધામમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીના દર્શન કરવા માટે લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. આજે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીના સિંહાસન 50 કિલો ફુલ અને મંદિરને 5 હજાર કિલો ફુલથી શણગારમાં આવ્યું હતું. તો દાદાને 8 કિલો સોનામાંથી બનેલાં હીરાજડિત વાઘા પહેરાવાયા હતા. ઉલ્લેખનીય છે કે, દાદાને શણગાર કરાયેલા ફુલ વડોદરા અને કોલકાતાથી મંગાવવામાં આવ્યા છે. દાદાના સિંહાસન અને મંદિરને ફુલનો શણગાર કરતા એક દિવસનો સમય લાગ્યો હતો.



આજે સવારે 5.30 વાગ્યે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીની મંગળા આરતી મંહત પુરાણી વિષ્ણુપ્રકાશદાસજીએ સ્વામીએ કરી હતી. આ પછી 7.30 વાગ્યે શણગાર આરતી શાસ્ત્રી હરિપ્રકાશ દાસ સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આ પછી દાદાને 1 હજાર કિલો મીઠાઈનો અન્નકુટ પણ ધરાવવામાં આવ્યો હતો. આ અન્નકુટ આરતી પણ શાસ્ત્રી હરિપ્રકાશદાસ સ્વામી દ્વારા કરવમાં આવી હતી. જે બાદ મંદિર પરિસરમાં 250 કિલો સુખડીની કેકનું કટિંગ પણ સંતો દ્વારા કરાયું હતું. આ પછી બપોરે 2 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હનુમાનજીના દર્શન કરીને ધન્યતા અનૂભવી હતી.






મહત્ત્વનું છે કે, આજે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીના દર્શન કરવા માટે દૂર-દૂરથી ભક્તો આવ્યા હતાં. મંદિરના સંતો દ્વારા ભક્તો માટે વિશેષ સુવિધા કરવાામાં આવી હતી. 2 હજારથી વધુ સ્વયંસેવકો ભક્તોની વ્યવસ્થા માટે ખડેપગે રહ્યા હતાં. આજે મહાઅન્નક્ષેત્રમાં લાખો લોકોએ દાદાનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો.