Ahmedabad VS Hospital News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શેઠ વાડીલાલ સારાભાઈ જનરલ હોસ્પિટલમાં વર્ષ-2021થી 58 જેટલી નેશનલ અને ઈન્ટરનેશનલ ફાર્માસ્યુટીકલ કંપનીઓએ અંદાજે 500 જેટલા દર્દીઓ ઉપર તેમની પ્રોડકટસના પરિક્ષણ કરી નાંખ્યા હોવાનો તપાસ સમિતિના વચગાળાના અહેવાલમાં ઘટસ્ફોટ થયો છે. આ ફાર્માસ્યુટીકલ કંપનીઓએ રૂમેટો આર્થરાઈટીસ ઉપરાંત ચામડીના રોગ, વેકસિનના પરીક્ષણ કર્યા હોવાનું બહાર આવ્યું છે.
આ સમાચાર પણ વાંચોઃ આજથી બે દિવસ સુધી 30 કિલોમીટરની સ્પીડે ધૂળની ડમરી સાથે પવન ફૂંકાશે, જાણો આગામી ત્રણ દિવસ કેવું રહેશે તાપમાન
એન.એચ.એલ.મેડીકલ કોલેજના ફાર્મેકોલોજિસ્ટ ડોકટર સુપ્રિયાના કહેવા અનુસાર, કંપનીઓ દ્વારા દર્દીઓ ઉપર તેમની પ્રોડકટસના પરિક્ષણ દર્દીઓની સંમતિથી કરાયા હતા. ચાર વર્ષથી VS હોસ્પિટલમાં એથિકલ કમિટીના અસ્તિત્વ વગર આટલી મોટી સંખ્યામાં તેમની પ્રોડકટસનું દર્દીઓ ઉપર પરિક્ષણ કરાયુ તેમ છતાં મોટાભાગની ફાર્માસ્યુટીકલ કંપનીઓએ તપાસ માટે ડોક્યુમેન્ટસ પણ આપવાનો ઈન્કાર કરી દીધો છે. તપાસ કમિટીએ મોટી ફાર્મા કંપનીઓ માટે કામ કરતા અલગ અલગ સ્તોત્રમાંથી વિગત એકઠી કરી આ કૌભાંડની તપાસ આગળ વધારી છે.
તપાસ કમિટીએ રજૂ કરેલા વચગાળાના અહેવાલ પછી કમિટીના સભ્યો પહેલી વખત મિડીયા સમક્ષ કહ્યું, વિવિધ ફાર્માસ્યુટીકલ કંપનીઓ દ્વારા તેમની પ્રોડકટસના ટ્રાયલ માટે રુપિયા 200થી 500 આપવામાં આવતા હતા. કોઈ મોટી ફર્માસ્યુટીકલ કંપની હોય તો વધારે રકમ દર્દીને તેમની પ્રોડકટસના ટ્રાયલ માટે આપતી હતી.
ફાર્માસ્યુટીકલ કંપની તેમની પ્રોડક્ટસની આ રીતે કરે છે ટ્રાયલ
કોઈપણ ફાર્મા કંપની તેમની નવી પ્રોડકટસનો પહેલો ટ્રાયલ પશુઓ ઉપર કરે છે. જે પછી જે તે રોગના દર્દી ઉપર તેમની પ્રોડકટસનો ટ્રાયલ કરવામાં આવતો હોય છે. દર્દીઓ ઉપર ટ્રાયલ કરતા પહેલા તેમણે નેશનલ મેડીકલ કાઉન્સિલ,હોસ્પિટલની એથિકલ કમિટી,દર્દીની મંજૂરી લેવાની હોય છે.વી.એસ.હોસ્પિટલમાં બહાર આવેલા પરિક્ષણ કૌભાંડમાં ફાર્મા કંપનીઓએ અલગ અલગ એથિકલ કમિટીની મંજૂરી લીધી હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ પૈકી મોટાભાગની કમિટી તો માન્યતા પણ ધરાવતી નથી. આ કંપનીઓ તરફથી હોસ્પિટલને ફંડ પણ અપાયુ નહીં હોવાનો તપાસ દરમિયાન ઘટસ્ફોટ થવા પામ્યો છે.