gujarat24  /  Gujarat  /  Ahmedabad  /  

Ahmedabad: રાજ્યના શહેરી વિકાસ અને શહેરી આવાસ વિકાસ વિભાગે કચરાંને અલગ પાડવાને, સિંગલ-યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને નાબુદ કરવાને પ્રોત્સાહન આપવા માટેનું અભિયાન લૉન્ચ કર્યું

Ahmedabad News: હાલમાં ચાલી રહેલા સ્વચ્છ ભારત મિશન – શહેરી અને સ્વચ્છતા હી સેવા અભિયાનને અનુરૂપ રહીને કચરાંને અલગ પાડવા અને સિંગલ યુઝ-પ્લાસ્ટિકના ઉપયોગને નાબુદ કરવા અંગે જાગૃતિ પેદા કરવા માટેનું એક અભિયાન લૉન્ચ કરવામાં આવ્યું છે. વિભાગ દ્વારા મંગળવારના રોજ અમદાવાદના પાંચ અલગ-અલગ વિસ્તારમાં યોજવામાં આવેલા શેરી નાટકના પર્ફોમન્સની સાથે આ અભિયાનની શરૂઆત થઈ હતી. રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી આવાસ વિકાસ વિભાગ દ્વારા યોજવામાં આવેલી આ પહેલ દરમિયાન અમદાવાદ શહેરના રામોલ વિસ્તારમાં આવેલી ખાનવાડી, ન્યૂ મણીનગર – શ્રીનંદ સિટી, ઑક્સિજન પાર્ક, જશોદાનગર બસ સ્ટેન્ડ અને બોમ્બે કન્ડક્ટર રોડ જેવા સ્થળોએ શેરી નાટકો ભજવવામાં આવ્યાં હતાં.

આ પહેલ પાછળનો વિચાર સાથી રહેવાસીઓમાં ભીના અને સૂકા કચરાંને અલગ પાડવાની ટેવ કેળવવાનો તથા સિંગલ-યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને સંપૂર્ણપણે નાબુદ કરવા માટે તેમને પ્રોત્સાહિત કરવાનો હતો.

શેરી નાટકોના દમદાર પર્ફોમન્સ દ્વારા સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો પર્યાવરણ પર કેટલો હાનિકારક પ્રભાવ પડે છે, તેને તાદ્રશ્ય રીતે રજૂ કરવામાં આવ્યો હતો. આ પર્ફોમન્સે દર્શકો પર કાયમી છાપ છોડી હતી તથા આવા પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાથી કેવી રીતે પર્યાવરણને નુકસાન પહોંચે છે અને ઇકોસિસ્ટમ જોખમમાં મૂકાઈ જાય છે, તે અંગે લોકોને જાગૃતિ કરવામાં આવ્યાં હતાં.

સ્થાનિક સમુદાયોએ શેરી નાટકોના પર્ફોમન્સને ખૂબ બિરદાવ્યું હતું, જે પ્રત્યેક પર્ફોમન્સને જોવા માટે લગભગ 200-250 લોકો એકઠાં થયાં હતાં. સમગ્ર શહેરમાં આ પ્રકારના પાંચ પર્ફોમન્સ યોજવામાં આવ્યાં હતાં, જેથી કરીને દર્શકો સુધી તેનો સંદેશ પહોંચે તેની ખાતરી કરી શકાય.

આ પહેલ ગુજરાત સરકારની સિંગલ-યુઝ પ્લાસ્ટિકને નાબુદ કરવાની કટિબદ્ધતાને અનુરૂપ છે તથા તેનો ઉદ્દેશ્ય નિર્મળ ગુજરાત 2.0 – એટલે કે ગુજરાતને સ્વચ્છ અને હરિયાળુ બનાવવાના વિઝનની દિશામાં સામૂહિક કાર્યવાહીને પ્રેરિત કરવાનો છે.

અમદાવાદ માટેના વ્યાપક અભિયાનના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન (AMC)ની સીમા હેઠળ આવતાં 48 વૉર્ડમાં લગભગ આવા 200 જેટલા શૉ યોજવામાં આવશે. વધુમાં, અમદાવાદ ઝોનની અંદર આવતી 25 નગરપાલિકાઓમાં આવા 125 જેટલા શૉ પણ યોજવામાં આવશે.

ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી આવાસ વિકાસ વિભાગ તમામ નાગરિકોને આ અભિયાનમાં જોડાવાની તથા સ્વચ્છ અને પ્લાસ્ટિક-મુક્ત ગુજરાતના વિઝનને સાકાર કરવા માટે પોતાનું યોગદાન આપવાની વિનંતી કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *