Gujarat24  /  Business  /  

દિવાળી પહેલા મોટી ગિફ્ટ આપશે RBI, જાણો રેપો રેટમાં કેટલા ટકાનો કરી શકે છે ઘટાડો, હોમ અને ઓટો લોન થશે સસ્તી

ભારતીય રિઝર્વ બેંક રેપો રેટમાં મોટો ઘટાડો કરવાનું વિચારી રહી છે. રિઝર્વ બેંક (RBI)ની ત્રણ નાણાકીય નીતિ સમિતિ (MPC) બેઠકો આવતા મહિને યોજાશે. ત્રણેય મીટિંગ દરમિયાન રેપો રેટ ઘટાડી શકાય છે. કેટલાક અહેવાલો દાવો કરે છે કે આ ઘટાડો 0.50થી 0.75 ટકા સુધીનો થઈ શકે છે. જો રેપો રેટમાં આટલો ઘટાડો થાય તો સામાન્ય માણસને મોટી રાહત મળશે.

રિપોર્ટ મુજબ, RBIની નાણાકીય નીતિ સમિતિની આગામી બેઠક 4-6 જૂન દરમિયાન યોજાશે. આ બેઠકમાં સામાન્ય માણસને રાહત આપવા માટે મોટા નિર્ણયો લેવામાં આવી શકે છે અને રેપો રેટમાં લગભગ 0.25%નો ઘટાડો થઈ શકે છે. ત્યારબાદ 5થી 7 ઓગસ્ટ અથવા 29 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર દરમિયાન યોજાનારી બેઠકમાં 0.25 ટકાથી 0.50 ટકાનો ઘટાડો થવાની ધારણા છે.

દિવાળી પહેલા સામાન્ય માણસને મોટી રાહત મળશે અને RBI રેપો રેટમાં 0.75 ટકા સુધીનો ઘટાડો કરવામાં આવશે. હાલમાં રેપો રેટ 6% છે, જે દિવાળી સુધીમાં ઘટીને 5.25% થવાની ધારણા છે. તે જ સમયે રેપો રેટમાં વધુ ઘટાડો થવાની શક્યતા છે. આ ઘટાડો વર્ષ 2025ના અંત સુધીમાં 1% અથવા 100 બેસિસ પોઈન્ટનો હોઈ શકે છે, ત્યારબાદ રેપો રેટ ઘટીને 5% થઈ જશે.

રેપો રેટએ વ્યાજ દર છે જેના પર RBI બેંકોને લોન આપે છે અને પછી બેંકો ગ્રાહકોને વધુ વ્યાજ ઉમેરીને લોન આપે છે. જો રેપો રેટમાં ઘટાડો થાય છે તો લોનના EMI પણ ઘટશે અને હોમ લોન અને કાર લોન સસ્તી થશે. ઉદ્યોગોને સસ્તા ધિરાણની ઉપલબ્ધતા માત્ર શહેરી વપરાશને વધારશે નહીં પરંતુ કારખાનાઓમાં રોકાણ વધવાને કારણે રોજગારી પણ સર્જશે.

SBI સિક્યોરિટીઝના ડેપ્યુટી વાઈસ પ્રેસિડેન્ટ સન્ની અગ્રવાલે જણાવ્યું હતું કે, બધા પરિબળો દર ઘટાડાનો સંકેત આપી રહ્યા છે. ચોમાસુ સામાન્ય રહેવાની અપેક્ષા છે. જીડીપી વૃદ્ધિ સ્થિર રહે છે અને સૌથી અગત્યનું, ફુગાવો નિયંત્રણમાં છે. જેના સંદર્ભમાં, છેલ્લી બેઠકમાં, આરબીઆઈ ગવર્નરે પણ સંકેત આપ્યો હતો કે જો ફુગાવો નિયંત્રણમાં રહેશે, તો દરો વધુ નીચે આવી શકે છે.